NATIONAL : 72 IASની બદલી, ચૂંટણી પૂર્ણ થતાં જ રી-શફલ:8 નવી મનપાના મ્યુનિ.કમિશનર બદલાયા, નવા મ્યુનિ. કમિશનરો ચાર્જ લેશે પછી જ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત……

0
24

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટા રી-શફલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ બદલીઓમાં તાજેતરમાં જ નવી બનેલી 9 મનપાની પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. આ 9માંથી 8 મનપાના મ્યુનિકમિશનરની બદલી કરી નવા કમિશનર મૂકવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર મનપાના કમિશનરની બદલી કરવામાં આવી નથી.

દોઢ વર્ષ પહેલા નવી બનાવવામાં આવેલી મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા બાદ સૌપ્રથમ વખત મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજે બદલીઓ થયા બાદ બે દિવસમાં નવા મ્યુનિસિપલ કમિશનરો ચાર્જ લીધા બાદ જ હવે નવી ચૂંટાયેલી પાંખ જાહેર થશે.

ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર
જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

કિરણ ઝવેરી નડિયાદ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર
આ ઉપરાંત નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની ટ્રાન્સફર કરી તેમને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

અનેક અધિકારીઓને વધારાનો ચાર્જ
રાજ્ય સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ અને વિકાસ સંબંધિત પ્રોજેક્ટોને વધુ ગતિ આપવા માટે વહીવટી માળખામાં આ વ્યાપક ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અનેક અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે, જેથી વિવિધ વિભાગોની કામગીરીમાં સતતતા જળવાઈ રહે.

સરકાર નીતિગત-અમલીકરણ સ્તરે અનુભવી અધિકારીઓનો વધુ ઉપયોગ કરવા માગે છે
IAS અધિકારીઓની ટ્રાન્સફર માત્ર રૂટિન વહીવટી ફેરફાર નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સરકારની નવી વહીવટી ગોઠવણ તરીકે જોવાઈ રહી છે. થોડા દિવસો પહેલા ઘણા કલેક્ટરોને પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમની બદલી અટકાવવામાં આવી હતી. હવે ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રમોશન પામેલા અધિકારીઓને સચિવાલય તેમજ મહત્વપૂર્ણ વિભાગોમાં જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર હવે જિલ્લા વહીવટ કરતાં નીતિગત અને અમલીકરણ સ્તરે અનુભવી અધિકારીઓનો વધુ ઉપયોગ કરવા માગે છે તેવો સંકેત આ બદલીઓમાંથી મળી રહ્યો છે.

સરકાર પાસે મર્યાદિત અનુભવી અધિકારીઓ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી IAS અધિકારીઓની અછત ગંભીર મુદ્દો બની રહી છે. તેના કારણે અનેક અધિકારીઓને એક સાથે બે-ત્રણ મહત્વપૂર્ણ વિભાગોના વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. આ ટ્રાન્સફર ઓર્ડરમાં પણ ઘણા અધિકારીઓને વધારાની જવાબદારી આપવામાં આવી છે, જે દર્શાવે છે કે સરકાર પાસે અનુભવી અધિકારીઓની મર્યાદિત ઉપલબ્ધતા છે. ખાસ કરીને ઊર્જા, શિક્ષણ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ અને નગર વિકાસ જેવા વિભાગોમાં એક જ અધિકારી પાસે અનેક પદોની જવાબદારી રાખવામાં આવી છે. વહીવટી સતતતા જળવાઈ રહે અને નિર્ણયો ઝડપથી લેવાઈ શકે તે માટે આ મોડેલ અપનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

વધારાના ચાર્જના આધારે કામગીરી ચાલતી હતી ત્યાં હવે નિયમિત પોસ્ટિંગ
આ બદલીઓમાં એક મહત્વનું પાસું એ પણ છે કે જ્યાં લાંબા સમયથી વધારાના ચાર્જના આધારે કામગીરી ચાલી રહી હતી ત્યાં હવે નિયમિત પોસ્ટિંગ આપવામાં આવી રહી છે. અનેક કોર્પોરેશન, કમિશનર કચેરીઓ અને જિલ્લા કક્ષાના પદો પર રેગ્યુલર અધિકારીઓ મુકાતા વહીવટી ગતિ વધવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સરકાર કોઈ મોટો વહીવટી ફેરફાર કરવા માંગતી નહોતી, પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થતાં જ આખા તંત્રમાં વ્યાપક રી-શફલ કરવામાં આવ્યું છે. આથી આગામી સમયમાં વિકાસકાર્યો અને નીતિ અમલીકરણમાં વધુ સ્પષ્ટતા અને જવાબદારી નક્કી થવાની શક્યતા છે.

જિન્સી રોયને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની જવાબદારી
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં થયેલી બદલી ખાસ ચર્ચામાં રહી છે. આ વિભાગ છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદો અને વહીવટી અસંતોષને લઈને ચર્ચામાં હતો. વિભાગના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વિજયનની બદલી કરીને બોટાદના કલેક્ટર તરીકે ફરજ બજાવતા જિન્સી રોયને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં આ વિભાગમાં આંતરિક સ્તરે પણ અનેક ફેરફારો થયા હતા, જેના કારણે સરકાર હવે નવા નેતૃત્વ દ્વારા વિભાગમાં સ્થિરતા લાવવા અને પ્રોજેક્ટ અમલીકરણને ગતિ આપવા માંગે છે તેવો સંદેશો મળી રહ્યો છે. ટેક્નોલોજી અને ઈનોવેશન આધારિત યોજનાઓને લઈને આ વિભાગ આગામી સમયમાં વધુ સક્રિય બને તેવી અપેક્ષા છે.

સંયુક્ત ચૂંટણી કમિશનર એન.ડી. પરમાર ડાંગ-આહવાના કલેક્ટર તરીકે નિયુક્ત
તાજેતરમાં દેશભરના યુદ્ધ જેવા તણાવપૂર્ણ માહોલ વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ ખાસ ચર્ચામાં રહ્યો હતો. રાજ્યમાં જથ્થાબંધ અનાજ સંગ્રહ, પુરવઠા વ્યવસ્થા અને ઈમરજન્સી સ્ટોક મેનેજમેન્ટ જેવા મુદ્દાઓને કારણે આ વિભાગનું મહત્વ વધ્યું હતું. ત્યારે વિભાગના ડાયરેક્ટર મયુર મહેતાની બદલી કરીને તેમને વાવ-થરાદના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગમાં સંયુક્ત ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવતા એન.ડી. પરમારને ચૂંટણી પૂર્ણ થયા બાદ ડાંગ-આહવાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી અને સંવેદનશીલ વહીવટી જવાબદારીઓ સંભાળનારા અધિકારીઓને હવે મેદાની વહીવટમાં ફરી મોકલવાની સરકારની રણનીતિ છે.

નવા મ્યુનિ. કમિશનરો ચાર્જ લીધા બાદ જ હવે નવી ચૂંટાયેલી પાંખ જાહેર થશે
નવી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાયા બાદ નવા મ્યુનિસિપલ કમિશનર અને નવી ચૂંટાયેલી પાંખ હશે. દોઢ વર્ષ પહેલા નવી બનાવવામાં આવેલી મહાનગરપાલિકા એવી મોરબી, નવસારી, મહેસાણા, વાપી સહિતના મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા બાદ સૌપ્રથમ વખત મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજે બદલીઓ થયા બાદ બે દિવસમાં નવા મ્યુનિસિપલ કમિશનરો ચાર્જ લીધા બાદ જ હવે નવી ચૂંટાયેલી પાંખ જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here